નેતાઓના વિવાદિત નિવેદનો અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે હાલમાં જ ફરી એક વખત ભાજપના નેતાનું મોટુ વિવાદિત નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે ભાજપના નેતાઓ સામે હાથ ઉઠાવનારનો હાથ કાપી નાંખવાની ધમકી આપી છે. ઉલ્લખનીય છે કે રોહતકના કિલોઈ ગામના પ્રાચીન શિવ મંદિરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ગ્રામજનો દ્વારા બંધક બનાવ્યા બાદ રાજકીય વિવાદ વકર્યો છે. આ ઘટનાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ટોચના નેતાઓ સાથે કાર્યકરોએ પ્રદર્શન કરતા પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હુડ્ડાના પૂતળાનું દહન કર્યું હતું
ભાજપના સાંસદ અરવિંદ શર્માએ આ ઘટના પાછળ ભૂપેન્દ્ર હુડ્ડાનું ષડયંત્ર જણાવતા કહ્યું હતું કે જો કોઈ ભાજપના નેતાઓ પર આંખ ઉઠાવશે તો આંખ કાઢી લેવામાં આવશે અને જો હાથ ઊઠાવશે તો હાથ પણ કાપી નાખવામાં આવશે. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું કે ખેડૂતોની આડમાં ચાલી રહેલી ગુંડાગીરીને કોઈપણ ભોગે સાંખી લેવામાં આવશે નહીં. પ્રદર્શનમાં રોહતકના સાંસદ અરવિંદ શર્મા, પૂર્વ મંત્રી મનીષ ગ્રોવર સહિત સેંકડો કાર્યકરો છોટુ રામ ચોકમાં હાજર હતા.
વિરોધ બાદ રોહતકના સાંસદ ડો.અરવિંદ શર્માએ પોતાના સંબોધનમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને ચેતવણી આપી હતી કે ગઈકાલની ઘટનામાં પૂર્વ મંત્રી મનીષ ગ્રોવરને નિશાન બનાવવામાં આવ્યા હતા. હું કહેવા માંગુ છું કે જો કોઈ મનીષ ગ્રોવર તરફ આંખ ઉંચી કરશે તો તેની આંખ કાઢી લેવામાં આવશે અને જો તેની સામે હાથ ઊંઠાવશે તો તેનો હાથ કાપી નાખવામાં આવશે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે કોંગ્રેસ સત્તા માટે ષડયંત્ર કરી રહી છે પરંતુ ભૂલી જાઓ, આગામી 25 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર આવવાની નથી. એલનાબાદની તાજેતરની પેટાચૂંટણીમાં જે રીતે કોંગ્રેસની જમાનત જપ્ત થઈ છે, તે જ રીતે આગામી ચૂંટણીમાં ભૂપિંદર સિંહ હુડ્ડા પણ તેમના મતવિસ્તારમાંથી હારશે.