દેશમાં છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી દેશના ખેડૂતો સરકાર સામે બાંયો ચઢાવીને સામે આવી ગયા હતા, આનુ કારણ હતુ એકમાત્ર કૃષિ કાયદાઓનો વિરોધ, આખરે દેવ દિવાળીના પાવન પર્વના દિવસે ખેડૂત આંદોલનની જીત થઇ ગઇ છે. પીએમ મોદીએ આજે રાષ્ટ્રના નામે સંબોધન કરતા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી, પીએમ મોદીએ કહ્યું કે, હું આજે અહીં તમને કહેવા આવ્યુ છું કે અમે ત્રણેય કૃષિ કાયદાઓને પાછા ખેંચી રહ્યાં છીએ. આમ સરકાર સામે આખરે ખેડૂત આંદોલનની જીત થઇ હતી. જાણો શું છે આ ત્રણેય કૃષિ કાયદા અને કયા કયા મુદ્દાઓને લઇને સરકાર અને ખેડૂતો આમને સામને આવ્યા હતા.
નવા કૃષિ કાયદામાં કેટલાક મૂળભૂત ફેરફાર કરવામાં આવ્યા છે અને નવી જોગવાઈઓ મૂકવામાં આવી છે. સામાન્ય રીતે સમજીએ તો વેપારી APMC મંડી બહાર પણ ખેડૂતોનો પાક વેચી શકશે. પહેલાની સ્થિતિમાં ખેડૂતો પોતાનો પાક મંડીમાં જ વેચી શકતા હતા મતલબ કે ખેડૂતોનો પાક ફકત મંડીથી ખરીદી શકાતો હતો.
ભારતમાં ખેતી પદ્ધતિમાં બદલાવ લાવવા અને ખેડૂતોને સીધો ફાયદો મળે તે માટે કેન્દ્ર સરકારે લોકસભામાં કૃષિ કાયદો પસાર કર્યો હતો. કૃષિ કાયદામાં ત્રણ બિલ હતા. કૃષિ કાયદો બનતા પહેલા તે કૃષિ બિલ હતું જે લૉકડાઉનના સમયમાં વટહુકમ તરીકે બહાર પાડવામાં આવ્યું હતું. કૃષિ સંબધિત કાયદામાં ત્રણ બિલ હતા. આ ત્રણેય બિલમાં ખેડૂતોની આવક વધારવી, પાક કે ઉત્પાદનના જોખમને ઓછુ કરવું કે ખત્તમ કરવું અને પાકનું યોગ્ય મૂલ્ય મળે તે દિશામાં અસરકારક પગલાં લઈ શકાય તેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.