કેપ ટાઉનઃ સાઉથ આફ્રિકાના કેપ ટાઉનમાં રમાઇ રહેલી ટેસ્ટ સીરિઝની અંતિમ અને ત્રીજી ટેસ્ટ મેચમાં જીત માટે સાઉથ આફ્રિકાને હવે 111 રનની જરૂર છે. આ મેચને ભારતે જીતવા માટે 212 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેના જવાબમાં ત્રીજા દિવસની રમતના અંતે સાઉથ આફ્રિકાએ બે વિકેટના નુકસાન પર 101 રન બનાવી લીધા છે. સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગર આઉટ થતા જ ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ હતી.
અગાઉ ડીન એલ્ગરે 30 રન બનાવ્યા હતા. તે સિવાય એડન માર્કરમ 16 રન બનાવી આઉટ થયો હતો.. ભારત તરફથી મોહમ્મદ શમી અને બુમરાહે એક-એક વિકેટ ઝડપી હતી. જો ભારતે આ ટેસ્ટ જીતવી હશે તો આઠ વિકેટ લેવી પડશે.
ઉલ્લેખનીય છે કે ત્રીજા દિવસની છેલ્લી ઓવરમાં જસપ્રીત બુમરાહે કેપ્ટન ડીન એલ્ગરને પેવેલિયન ભેગો કરી ઈન્ડિયન ટીમને મેચમાં કમબેક કરવામાં સહાય કરી છે. જોકે આ વિકેટ સાથે જ અમ્પાયર્સે DAY-3 સ્ટમ્પ્સ જાહેર કરી દીધા હતા. તેવામાં હવે ચોથા દિવસે દ.આફ્રિકાને જીતવા માટે 111 રન તો ભારતને 8 વિકેટની જરૂર છે.
એલ્ગર આની પહેલા પણ આઉટ થઈ ગયો હોત પરંતુ DRSએ તેને બચાવી લીધો હતો. રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં એલ્ગર વિરૂદ્ધ જોરદાર LBW અપિલ કરવામાં આવી હતી, જેના જવાબમાં ફિલ્ડ અમ્પાયરે પણ તેને આઉટ આપી દીધો હતો. પરંતુ ત્યારપછી કેપ્ટન એલ્ગરે રિવ્યૂ લીધો અને જેમાં બોલ મિસિંગ વિકેટ જોવા મળતા વિરાટ કોહલી સહિત તમામ ટીમ મેમ્બર્સ ચોંકી ગયા હતા. એટલું જ નહીં ત્યારપછી વિરાટ કોહલીએ સ્ટમ્પ માઈક પાસે પહોંચીને આ રિવ્યૂના નિર્ણયનો વિરોધ પણ કર્યો હતો.