મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય લડાઈ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગઈ છે. આવી સ્થિતિમાં સોમવારે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર કેસમાં અલગ જ રંગ જોવા મળ્યો હતો. જેમાં હવે મહારાષ્ટ્રના ડેપ્યુટી સ્પીકરને ઝટકો લાગ્યો છે. બળવાખોર ધારાસભ્યોની અરજી પર ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલને નોટિસ પાઠવવામાં આવી છે. જે બાદ હવે આ કેસની આગામી સુનાવણી 11 જુલાઈએ થશે. તેમને પૂછવામાં આવ્યું છે કે જ્યારે બળવાખોર ધારાસભ્યોએ તેમની સામે અવિશ્વાસની નોટિસ આપી હતી, તો ડેપ્યુટી સ્પીકરે તેને ગૃહમાં મૂક્યા વિના કેવી રીતે ફગાવી દીધી?
બળવાખોર ધારાસભ્યોએ કોર્ટમાં કહ્યું કે ડેપ્યુટી સ્પીકરની ભૂમિકા પોતે જ શંકાસ્પદ છે, તો તે તેમને (બળવાખોર ધારાસભ્યોને) ગેરલાયકાતની નોટિસ કેવી રીતે જાહેર કરી શકે?
દરમિયાન શિંદે જૂથને સુપ્રીમ કોર્ટમાંથી તાત્કાલિક રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે તેમના નિર્ણયમાં કહ્યું કે રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવી જોઈએ અને તમામ 39 ધારાસભ્યોના જીવન અને સ્વતંત્રતાની સુરક્ષા માટે પર્યાપ્ત પગલાં લેવા જોઈએ. તેમની સંપત્તિને કોઈ નુકસાન ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઇએ.
આ પહેલા જસ્ટિસ સૂર્યકાંતે તમામ પક્ષોને સાંભળ્યા બાદ 11મી જુલાઈના રોજ સાંજે 5.30 વાગ્યા સુધી બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે ડેપ્યુટી સ્પીકરની નોટિસ પર રોક લગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે 11 જુલાઈ સુધી ધારાસભ્યોને અયોગ્ય ઠેરવી શકાય નહીં.
બળવાખોર ધારાસભ્યોએ સોમવારે અયોગ્યતાની નોટિસ પર સાંજે 5 વાગ્યા સુધીમાં જવાબ આપવાનો હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ડેપ્યુટી સ્પીકરની આ નોટિસ પર 11 જુલાઈ સુધી રોક લગાવવામાં આવી છે. મતલબ કે ત્યાં સુધી આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શકાય નહીં.
શિંદે કેમ્પે સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે તેમની સાથે 39 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર સરકાર લઘુમતીમાં છે. બળવાખોર જૂથે કહ્યું કે જ્યારે ડેપ્યુટી સ્પીકરની છબી શંકાસ્પદ છે, તો પછી તેઓ ગેરલાયક ઠરાવ કેવી રીતે લાવી શકે. શિંદે જૂથે કહ્યું કે પહેલા તે અરજીઓ પર સુનાવણી થવી જોઈએ જેમાં ડેપ્યુટી સ્પીકરને હટાવવાની માંગ કરવામાં આવી છે. બળવાખોર ધારાસભ્યોએ કહ્યું કે ડેપ્યુટી સ્પીકર સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે.