દેશમાં દિવસેને દિવસે મોંઘવારી વધી રહી છે ત્યારે હવે પેટ્રોલ ડિઝલબાદ શાકભાજીના ભાવ પણ કુદકેને ભુસકે વધી રહ્યા છે. ત્યારે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીના (Onion) ભાવ હાલ આસમાને છે અને તેના ભાવ હાલમાં ઘટવાના કોઇ અણસાર નથી કેમ કે નવી ડુંગળી બજારમાં આવી નથી. મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નાસિક અને તેની આસપાસના વિસ્તારમાં પકવામાં આવતા ડુંગળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
બજારમાં ડુંગળીની વધુ માંગની સામે ઓછા પુરવઠાના કારણે હાલમાં ડુંગળીના ભાવ ઘટવાની કોઇ આશા નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સહિત કર્ણાટકમાં પણ વરસાદને કારણે ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં (Gujarat) પરત ફરી રહેલા ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. વરસાદમાં ક્ષતિગ્રસ્ત પાકને કારણે ખેડૂતોએ ફરી ડુંગળીનું વાવેતર કરવું પડ્યું છે. નવો ડુંગળીનો પાક નવેમ્બરમાં તૈયાર થઈ જશે. આવી સ્થિતિમાં દિવાળી (Diwali) સુધી ડુંગળીના ભાવ આ રીતે વધતા રહેશે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ડુંગળી વિપુલ પ્રમાણમાં થાય છે. અત્યારે બજારમાં માંગની સરખામણીમાં ડુંગળીનો પુરવઠો મળી રહ્યો નથી. તેના કારણે સંગ્રહિત જૂની ડુંગળીના ભાવ આસમાનને આંબી રહ્યા છે. અત્યારે છૂટક બજારમાં ડુંગળી 50થી 60 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે. પૂણે જિલ્લાના ઘેડ, મંચર, શિરુર, જુન્નર અને નાસિક, સંગમનેર, અહમદનગરના ખેડૂતો ડુંગળીનો મોટો સ્ટોક રાખે છે. પૂણેના માર્કેટયાર્ડમાં દરરોજ લગભગ 50 વાહનોમાં ડુંગળી મંગાવવામાં આવી રહી છે. નાસિકની લાસલગાંવ બજારમાં લગભગ આઠથી દસ હજાર ક્વિન્ટલ ડુંગળી આવી હોવાનું જાણવા મળ્યું છે. લાસલગાંવ બજાર સમિતિ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
હાલ બજારમાં નવી ડુંગળી ઉપલબ્ધ નથી. મહારાષ્ટ્રની જૂની ડુંગળીની દેશભરમાં સૌથી વધુ માંગ છે. નાસિકમાં મુશળધાર વરસાદને કારણે ડુંગળીના નવા પાકને ઘણું નુકસાન થયું છે. ઉંચી માંગ અને ઓછા પુરવઠાને કારણે આગામી કેટલાક દિવસો માટે ડુંગળી સસ્તી થવાની આશા નહિવત છે. નવી મુંબઈના APMC માર્કેટમાં 100થી 130 વાહનોમાં ડુંગળી મંગાવવામાં આવે છે. અહીં ડુંગળી 30થી 45 રૂપિયા પ્રતિ કિલોના દરે જથ્થામાં મળી રહી છે. મુંબઈ અને થાણેના છૂટક બજારમાં આ ડુંગળી 50થી 55 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.