ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થતા માસ્ક અને સેનેટાઇઝરનું વેચાણ વધી ગયુ છે.રાજ્યમાં 29 ડિસેમ્બરના રોજ કોરોનાના 548 નવા કેસ નોંધાયા હતા.રાજ્યમાં કુલ 19 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં 4 પુરુષ અને 4 સ્ત્રી મળીને સૌથી વધુ 8 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. રાજ્યમાં ઓમિક્રૉનના અત્યાર સુધી 97 કેસ સામે આવ્યા છે.
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના નવા કેસોમાં મોટો વધારો થવા લાગ્યો છે ત્યારે સંક્રમણથી બચાવમાં અસરકારક માસ્ક, સેનીટાઈઝર તથા રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓના વેચાણમાં ફરી જોરદાર વધારો શરુ થઈ ગયો છે.
ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રમુખ અલ્પેશ પટેલના કહેવા પ્રમાણે રાજયમાં દરરોજ 15 લાખ ડીસ્પોઝેબલ માસ્ક તથા 4 લાખ એન-95 માસ્કનું વેચાણ થવા લાગ્યું છે જે ઓકટોબર કરતા ડબલ છે. ઓમિક્રોન વધુ ચેપી હોવાથી અને ઝડપભેર ફેલાતો હોવાના કારણોસર લોકો સાવધ બન્યા છે. કેટલાક વખતથી માસ્ક પહેરવાનું બંધ કરી દીધુ હતું તે ફરી પહેરવા લાગ્યા છે.
આ જ રીતે સ્કુલો-શૈક્ષણિક સંસ્થાઓ સંપૂર્ણ ખુલ્લી ગયા હોવાથી બાળકોને માસ્ક પહેરાવવા માટે પણ ખરીદી વધી છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસ દરમ્યાન નવા કેસોમાં મોટો વધારો થઈ રહ્યો છે. બુધવારે 584 નવા કેસ નોંધાયા હતા. ઓમિક્રોનનું સંક્રમણ પણ સતત વધી રહ્યું છે. માસ્ક ઉપરાંત સેનીટાઈઝર તથા ઈમ્યુનીટી વધારાની દવાઓના વેચાણમાં સરેરાશ 20 ટકાનો વધારો જોવા મળ્યો છે. શ્વાસની બિમારીને લગતી દવાનું વેચાણ 19 ટકા વધ્યુ છે.