ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રોનના કેસમાં વધારો થયો છે. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ સામે નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતાં સાસુ-વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો ત્યારે આ બન્નેમાંથી વહુનો કેસ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે. આ પહેલાં જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો.
પિલવાઈમાં રહેતી 43 વર્ષીય મહિલાના પતિના નિધન બાદ શોક સભામાં અનેક લોકો આવ્યા હતા, જેમાં સાસુ તેમજ વહુને સામાન્ય લક્ષણો દેખાતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 43 વર્ષીય મહિલાનાં સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં, જ્યાં તેનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મહિલાને હાલ વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે. ઓમિક્રોન પોઝિટિવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાનાં સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલાં પરિવારજનો એક બેસણાના પ્રસંગે મળ્યાં હતાં.