મધ્ય પ્રદેશના ખરગોનમાં એક માછીમારે માછલી ફસાવવા માટે નદીમાં જાળ ફેકી હતી. જોકે, જાળમાં માછલીની જગ્યાએ 10 ફૂટ લાંબો એક અજગર ફસાયો હતો. વિશાળ અજગરને જોઇને માછીમાર ડરી ગયો હતો. તે બાદ વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ વન વિભાગની ટીમ ગામમાં પહોચી હતી અને અજગરનો જીવ બચાવ્યો હતો.
ખરગોનથી 80 કિમી દૂર બડવાહના નલવા ગામની આ ઘટના છે. ગામમાં આવેલી નદીમાં માછલી પકડવા માછીમારે જાળ ફેકી હતી. કેટલાક કલાક બાદ માછીમારોએ જ્યારે જઇને જોયુ તો જાળની અંદર 10 ફૂટ લાંબો અને 22 કિલોનો અજગર ફસાયો હતો. જાળમાં અજગર ફસાવાના સમાચાર ગામમાં આગની જેમ ફેલાઇ ગયા હતા. તે બાદ ગ્રામીણોની ભીડ ભેગી થઇ ગઇ હતી. લોકો વીડિયો બનાવવા લાગ્યા હતા.
ગ્રામીણોએ વન વિભાગને જાણ કરી હતી. વન્ય પ્રાણી અભિરક્ષક ટોની શર્માના નેતૃત્વમાં અજગરનું રેસક્યૂ કરવામાં આવ્યુ છે. 2 કલાક ચાલેલા રેસક્યૂ ઓપરેશન બાદ અજગરને સુરક્ષિત જાળથી કાઢવામાં આવ્યો છે. તે બાદ અજગરને જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો. અજગર એટલો મોટો હતો કે તેને બે લોકોએ ઉઠાવવો પડ્યો હતો.
અજગર મળતા લોકો ડરી ગયા હતા. સાથે જ નદી તરફ સાવચેતી રાખવાની વાત કરવા લાગ્યા હતા. જોકે, લોકો માની રહ્યા છે કે પાસે જંગલી વિસ્તાર છે. ત્યાથી ભટકતા નદી સુધી અજગર પહોચી ગયો હશે. જાળમાં અજગર ફસાવવાની આ પ્રથમ ઘટના છે.