ગાંધીનગરઃ ગુજરાત પોલીસમાં નોકરી મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. PSIની ભરતીમાં સરકારે પોતાનો નિર્ણય બદલ્યો છે, અને હવેથી શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ ઉમેદવારોને લેખિત કસોટીમાં બેસવાની તક મળશે. પીએસઆઈ અને લોકરક્ષકની સીધી ભરતીમાં હવે ફિઝિકલમાં જેટલા પણ ઉમેદવારો પાસ થશે તે તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષા આપવા મળશે.ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરી છે.
રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારો ના વ્યાપક હિતમાં હકારાત્મક વિચારણા કરીને સબ ઇન્સ્પેક્ટર સંવર્ગોમાં 15 ગના અને લોકરક્ષક માં 08 ગના મેરિટરિયસ જોગવાય રદ્દ કરવામાં આવેલ છે, શારીરિક કસોટીમાં પાસ થનાર ઉમેદવાર લેખિત પરીક્ષા માં ભાગ લઇ શકશે! pic.twitter.com/3Y7US35IpF
— Harsh Sanghavi (@sanghaviharsh) October 22, 2021
શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસના સબ ઈન્સ્પેક્ટર અને લોકરક્ષક સંવર્ગોની સીધી ભરતીમાં વધુમાં વધુ ઉમેદવારોને લેખિત પરીક્ષામાં ભાગ લેવાની તક મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરવા અંગે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે.
સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગૃહ વિભાગ દ્વારા તા.04.01.2021ના જાહેરનામાઓથી પ્રસિદ્ધ કરવામાં આવેલ પરીક્ષા નિયમોમાં સબ ઈન્સપેક્ટર માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી 15 ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે અને તે મુજબ લોક રક્ષક માટે પ્રથમ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારો પૈકી 8 ગણા મેરીટોરીયસ ઉમેદવારો અથવા તો પાસ થયેલ તમામ ઉમેદવારો પૈકી જે ઓછા હોય તે ઉમેદવારોને તે પછીના તબક્કાની લેખિત પરીક્ષામાં ભાગ લેવા માટેની જોગવાઈ રદ કરવા માટે રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ઉમેદવારો તરફથી સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી.
લોકરક્ષક ભરતી નિયમોમાં ફેરફાર: શારીરિક કસોટી પાસ કરનાર એટલે કે 25 મિનિટમાં પાંચ કિલોમીટર દોડનાર પુરુષ તથા 9.5 મિનિટમાં 1600 મીટર દોડનાર મહિલા તથા ઉંચાઇ- વજન- છાતીના ધોરણમાં પાસ થનાર તમામ ઉમેદવારોને લેખિત પરીક્ષાની તક આપવામાં આવશે
— Hasmukh Patel (@Hasmukhpatelips) October 22, 2021
જે અંગે રાજ્ય સરકાર દ્વારા ઉમેદવારોના હિતમાં હકારાત્મક વિચારણા કરીને શારીરિક કસોટીમાં પાસ થયેલા તમામ ઉમેદવારો લેખિત પરીક્ષામાં ભાગ લઈ શકે અને શારીરિક કસોટીમાં પાસ થયેલ કોઈપણ ઉમેદવાર આ તકથી વંચિત ન રહે તે લક્ષમાં લઈને ઉમેદવારોના હિતમાં પરીક્ષા નિયમોમાં જરૂરી સુધારાઓ કરીને તે અંગેનો જરૂરી જાહેરનામાઓ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.