એસ.ટી નિગમના ત્રણેય સંગઠનોની વાહન વ્યવહાર વિભાગના અધિકારીઓ સાથેની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં ત્રણેય સંગઠનના પ્રતિનિધિઓ સાથે લાંબી ચર્ચા કર્યા બાદ એસટી કર્મચારીઓની હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર સાથેની બેઠકમાં સરકારે પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણા આપી હોવાથી કર્મચારીઓએ હાલ પુરતી હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે.
ગાંધીનગરમાં આજે એસટી યુનિયન અને મંત્રી પૂર્ણેશ મોદી અને અધિકારીઓ સાથે બેઠક કરાઇ હતી. આ અંગે સંકલન સમિતિના ધીરેન્દ્ર સિંહ સોલંકીએ કહ્યુ કે, ત્રણેય સંગઠોનોની સમિતિએ તમામ મુદ્દે સરકાર સાથે ચર્ચા કરી છે. 5 ટકા ડીએ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બે વર્ષથી જે પેન્ડિંગ હતું તે પણ આપવામાં આવશે. આ સાથે કોરોના વોરિયર્સ કર્મચારીઓને આર્થિક લાભ આપવામાં આવશે. રાજ્ય સરકાર 944 કર્મચારીઓના વારસદારોને ચુકવણી શરૂ કરશે. સરકારે ડ્રાઈવરને 1800 અને કંડક્ટરને 1900નો ગ્રેડ-પે આપવાની વાત પણ માની છે. કુલ 18 માંગણીઓમાંથી 10 માંગનો સ્વીકાર કરવામાં આવ્યો છે. જ્યારે બાકી રહેલી 8 માંગો પર આગામી દિવસોમાં ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે.
રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યુ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એસટી વિભાગના કર્મચારીઓની પડતર માંગણીઓ ઉકેલી છે. એસટી કર્મચારીઓને 7માં પગારપંચનો ત્રીજો હપ્તો તાત્કાલીક ચૂકવવામાં આવશે. કર્મચારીઓના પરિવારજનોને નોકરીના વિકલ્પે નાણાકીય પેકેજ અપાશે. ફિક્સ પગાર કર્મચારીઓના નિધન બાદ તેમના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવશે. આ સાથે વર્ગ-4ના કર્મચારીઓને બે વર્ષનું બોનસ પણ ચુકવવામાં આવશે.