દેશમાં દિવાળીના પર્વની શરૂઆત થઇ ચુકી છે, ત્યારે આજે દેશના અલગ અલગ વિસ્તારોમાં નાની દિવાળીની તો ગુજરાતમાં કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. આજના દિવસે ભગવાન હનુમાનજીની ભક્તિ અને આરાધનાનો અનોખો મહિમા છે. સાથે જ કાળી ચૌદસનું એક મહત્ત્વ એવું પણ છે કે સમયને કાલ કહે છે તે કાલ એટલે મૃત્યુ અને મૃત્યુના દેવ યમરાજ છે. માટે આ દિવસે તેમને યાદ કરીને દીપ અર્પણ કરવાનું પણ એટલું જ મહત્ત્વ છે. મા ભગવતી કાલીની ઉપાસના કામાખ્યા આસામ, ગૌહાટિયા, કોલકાતા દક્ષિણ કાલી મંદિર, સાઉથમાં ઘણાં કાલીનાં મંદિરો છે. તેવી જ રીતે અમદાવાદમાં એસ.પી.રીંગ રોડ પાસે કાલીબારી મંદિર, ઈસ્કોન મોલની પાછળ ઔડા ગાર્ડનની બાજુમાં મા કાલી મંદિર છે તેમાં આ દિવસે વિશેષ ક્રમથી પૂજન અર્ચન થાય છે.
આ કાળી ચૌદસની રાત્રે દરેક લોકોએ પોતાના રક્ષણ માટે સાધના કરવી જોઈએ જેથી આખું વર્ષ તમારી આજુબાજુ નકારાત્મક ઊર્જાનો પ્રવેશ ન થાય. પૂજનવિધિ સૌપ્રથમ જે સામગ્રી જોઈએ તે અગરબત્તી, ફૂલ, કાળા અડદ દાળ, ગંગાજળ, હળદર, હવન સામગ્રી કળશ, કપૂર, કુમકુમ, નાળિયેર, દેશી ઘી, ચોખા, અખરોટ, શંખ, કાળી યંત્ર, મા કાલીની મૂર્તિ અથવા ફોટો. લાલ આસન બાજોઠ, કાળું કપડું, હિના અત્તર, રુદ્રાક્ષની માળા. એક બાજોઠ ઉપર કાળું કપડું પાથરવું. મધ્યમાં કાલીની મૂર્તિ કે ફોટો મૂકવો ત્યારબાદ તેનાં ચરણોમાં યંત્રનું સ્થાપન કરવું. યંત્રને કાળા અડદની દાળની ઉપર સ્થાપિત કરવું. એક કળશમાં પાણી ભરીને તેની ઉપર નારિયેળ મૂકવું. દેશી ઘીનો દીવો પ્રગટાવવો.અગરબત્તી કરવી.
કાળી ચૌદસની રાત્રે સ્મશાનપૂજા પણ કરવામાં આવે છે જેમાં સ્મશાનમાં કાલીની પૂજા સાથે ભૈરવ પૂજા થાય છે. જે તંત્રનો ક્રમ છે. સાથેસાથે આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું મહત્ત્વ છે. ભૈરવ, ઘંટાકર્ણ મહાવીરનું પણ ખૂબ જ મહત્ત્વ છે. આ રાત્રીને તંત્રમાં મહારાત્રી તરીકે ઓળખવામાં આવે છે. માટે જે તંત્ર માર્ગમાં છે તે આ રાત્રીએ અચૂકથી જપ-અનુષ્ઠાન કરે છે જેથી અંદરની શક્તિઓ જાગ્રત થાય છે અને સમાજના કલ્યાણ માટે આ શક્તિનો ઉપયોગ કરી શકે છે. આજના દિવસે ઘરમાંથી કકડાટ કાઢવાનો પણ રીવાજ છે, આની માટે ખાસ પ્રકારના વડા ઘરેઘરમાં બનાવવામાં આવે છે. ભગવાનને ભોગ ધરાવીને ચાર રસ્તે મુકીને કકડાટ દૂર કરવામાં આવે છે.